તલોદમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઇ
તલોદ ખાતે ચૈત્ર વદ અગિયારસના પાવન અવસરે જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે મનોરથી પરિવાર દક્ષાબેન બિપીનકુમાર શાહના નિવાસસ્થાને સુંદર સત્સંગનું આયોજન કરાયા બાદ ત્યાંથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને જયઘોષના નાદ સાથે તલોદ હવેલી ગુંજી ઉઠી હતી. સંકલન સમિતિના હિરેનભાઈ પી. શાહના જણાવ્યા મુજબ, શ્રી શ્રીનાથજી પુષ્ટિમાર્ગીય હવેલીના નવનિયુક્ત પ્રમુખ હેતલભાઈ, મંત્રી કેતનભાઈ, ઉપપ્રમુખ ડો. રોનકભાઈ શાહ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શોભાયાત્રા બાદ વૈષ્ણવોએ શયનના દર્શનનો લાભ લીધો હતો અને ગો.વા. ધીરજલાલ કાંતિલાલ શાહ પરિવાર દ્વારા આયોજિત મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.







