બોરિયા બેચરાજીમાં સિંદુરી માતાજીનો ૨૫મો પાટોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

તલોદ તાલુકાના બોરિયા બેચરાજી ગામે આવેલ સિંદુરી માતાજીના મંદિરે ગ્રામજનો દ્વારા રજત જયંતી નિમિત્તે ૨૫મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગની શરૂઆત વહેલી સવારે પવિત્ર ‘ૐ’ હવન સાથે કરવામાં આવી હતી, જેમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ માતાજીની ભવ્ય શોભાયાત્રા ગામના માર્ગો પર નીકળી હતી, જેમાં ગામના રહીશો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો જોડાયા હતા. આ શોભાયાત્રાને પગલે સમગ્ર ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ મંગલ પ્રસંગે સિદ્ધરાજભાઈ વિરમભાઈ દેસાઈ, ઓદરભાઈ જીવાભાઈ દેસાઈ તેમજ આચાર્ય ઉપાધ્યાય તુષારભાઈ નટવરભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.






