અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ₹૧૭૫ કરોડના કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
હિતેશ શાહ
ગાંધીનગર: અમદાવાદ અને રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચેના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા એક મહત્વપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમમાં, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર ભાટ ચાર રસ્તા ખાતે નિર્મિત ભવ્ય અને આધુનિક કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજને સત્તાવાર રીતે વાહન-વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો છે. અંદાજે ₹૧૭૫ કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલો ૧.૪૮ કિલોમીટર લાંબો આ નવનિર્મિત બ્રિજ ભાટ સર્કલ પર વટેમાર્ગુઓને અવાર-નવાર નડતા ટ્રાફિક જામની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવશે. આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રીશ્રીએ ટ્રાફિક સુગમતાના એક અન્ય મહાઅભિયાનના ભાગરૂપે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલ પરના વર્તમાન ૬-લેન બ્રિજને ભવિષ્યની જરૂરિયાતો મુજબ ‘ટ્વેલ્વ લેન’ (૧૨-લેન) માં રૂપાંતરિત કરવાની મહત્વકાંક્ષી કામગીરીનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એસ.પી. રિંગરોડ તેમજ વડોદરા અને સુરત તરફ જતા ભારે વાહનો અને સ્થાનિક ટ્રાફિકની સરળતા માટે આ પ્રોજેક્ટ અંતર્ગત બંને બાજુ ત્રણ-ત્રણ લેન મળીને કુલ ૬-લેનના અલાયદા આધુનિક સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે સમગ્ર કોરિડોરના આર્થિક અને માળખાગત વિકાસ માટે માઇલસ્ટોન સાબિત થશે.






